વેરાવળ, તા.15 મે-2023, સોમવાર
વેરાવળના ડો.અતુલ ચગના આત્મહત્યાના કેસમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. ડો.અતુલ ચગ આત્મહત્યા કેસમાં જૂનાગઢના ભાજપ સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા સામે FIR નોંધાઈ છે. ડો.અતુલ ચગના પુત્રની ફરિયાદને આધારે પોલીસે આખરે રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા સામે FIR નોંધી છે.
સુસાઈડ નોટમાં પિતા-પુત્રનું નામ
ડોક્ટર અતુલ ચગે આપઘાત કરતાં પહેલા લખેલી સુસાઈડ નોટમાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમાનું નામ લખ્યું હતું. જેમાં વેરાવળ પોલીસ ફરિયાદ નોંધતી નહોતી એવી ડોક્ટરના પુત્રએ હાઈકોર્ટમાં કન્ટેમન્ટ અરજી કરી હતી. ડો.અતુલ ચગ પાસેથી સાંસદ અને તેમના પિતાએ 1.75 કરોડ રૂપિયા લઈને પરત ન આપ્યા હોવાનો અગાઉ ખુલાસો થયો હતો. હાઈકોર્ટમાં આ કેસ સંદર્ભે દલીલો થઈ હતી. અરજદારના વકીલે જણાવ્યું હતું કે, 12 ફેબ્રુઆરીના રોજ આ ઘટના બની અને એ જ દિવસે સુસાઈડ નોટ મળી હતી. 17 ફેબ્રુઆરીના ડો.ચગના પુત્રએ લેખિત ફરિયાદ આપી હતી. તેમ છતાં તપાસ ચાલુ જ હોવાની વાત પોલીસ કરી રહી છે અને FIR નોંધવામાં આવી ન હતી.
પોલીસે અરજી સ્વીકારી હતી, પણ FIR ન કરી
ગત 18 ફેબ્રુઆરીએ પોલીસે ડો. અતુલ ચગના પરિવારની અરજી સ્વીકારી હતી. સાંસદ રાજેશ ચુડાસમા તથા તેમના પિતા નારણભાઈ ચુડાસમા સામે ફરિયાદ નોંધવા વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ડૉક્ટરના પુત્રએ અરજી કરી હતી. આ અરજીમાં તેમણે પિતાના આપઘાત પાછળ સાંસદ અને તેમના પિતા જવાબદાર હોવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધવા રજૂઆત કરી હતી.
રાજેશ ચુડાસમા અને તેમના પિતા પાસેથી વર્ષ 2008થી દોઢથી પોણા બે કરોડ રૂપિયા લેવાના નીકળતા હતા. અવારનવાર રૂપિયા માંગવા છતાં રાજેશ ચુડાસમા અને તેના પિતા રૂપિયા પરત આપતા ન હતા. તેમજ રૂપિયા પરત ન આપવા પડે તે માટે ધમકી આપતા હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
જો કે આ અરજી આપવા છતાં પોલીસે રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા સામે FIR ન કરતા અંતે ડો.અતુલ ચગના પરિવારે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યાં હતા. હાઇકોર્ટે પોલીસને ખખડાવી આ રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા સામે FIR નોંધવા આદેશ આપ્યાં હતા.
https://ift.tt/xcsneEw
0 ટિપ્પણીઓ